5 ડિસેમ્બર, 2012

આધુનિક ભાવનાઓ અને વિજ્ઞાન




લાગણીની ભીનાશ ભીંજવી નથી શકતી,
હવે તો આંસુડા પણ આર્ટિફીશયલ મળે છે;
હોઠોની મુસ્કાન પણ શંકાસ્પદ લાગે,
કેમકે કોઈ ઈરાદા હેસિયત પણ બદલે છે.

ભૌતિકવાદે બદલ્યા બધા સમીકરણો,
જિંદગી સિવાય બધાનું કંઇક મૂલ્ય છે;
કારણકે હવે દરેક અંગ વેચાય છે,
ને માનવનું ક્લોનીંગ પણ થાય છે.

કોરોનરી બાયપાસ પછી સમજાય કે,
જિંદગીએ આપણને બાયપાસ કાર્ય છે;
પ્રકૃતિ પણ વિમુખ જ થાય ને,
એ વિજ્ઞાનનું આપણને અભિમાન છે.

સમયના અફાટ સમુદ્રમાંથી મળેલા,
થોડા ટીપાં જેવા અવસરો;
કહે છે ક્ષણે-ક્ષણને સફળ બનાવો,
કારણકે પળે-પળે બ્રહ્માંડ પણ વિસ્તરે છે.

શરુઆતમાં....

આ બ્લોગ મનમાં ઉઠતા વિચારો, પ્રશ્નો અને અનૂભુતીઓ કે જે હું આજ સુધી કાગળમાં ઉતરતી આવી છું એમને ડીજીટલાઈઝડ કરવાનો પ્રયાસ છે. કવિતા લખવાની શરુઆત મેં સાતમાં -આઠમાં ધોરણમાં કરી હતી, એક વરસાદી દિવસે. શાળામાં ગુજરાતી મારા પ્રિય વિષયોમાંનો એક વિષય હતો. એમાંય અમારા ગુજરાતી શિક્ષકનો પ્રભાવ અને પ્રેરણા ભળ્યા ત્યારે લખેલા શબ્દોમાં છુપાયેલા ગૂઢ અર્થોને એક ડિટેક્ટીવની જેમ શોધી કાઢતા અને પોતાના પરપેક્ષ્યમાં મૂકતાં વડી ગયું. પછી તો ગુજરાતી સમજવાની, માણવાની, લખવાની અને બીજાને સમજાવવાની મજા જ  કંઈ ઓર હતી. મારી માતૃભાષાએ મને એ સમયે આત્મવિશ્વાસ અને ત્યારબાદ વિદેશમાં આશ્વાસન આપ્યા છે.  

લખવાનો શોખ તો ના કહી શકાય પણ જયારે જયારે મન વ્યગ્ર અને હૃદય વ્યથિત થતું આવ્યું છે ત્યારે ત્યારે લખવાની ઈચ્છા થઇ છે. પહેલી વાર કોઈ અજાણી પરિસ્થિતિનો સામનો કરતા જેવી ભાવનાઓ ઉદભવે અને જેવી તીવ્રતાથી એ અનુભવાય એવી તીવ્રતા હવે અનુભવતી નથી. એવા રીઢાપણાથી બચવા અને એ પૂરાણાં દિવસોને ક્યારેક યાદ કરી લેવા મારી જૂની રચનાઓથી શરુઆત કરી છે.